સોમવાર, 21 જાન્યુઆરી, 2019

પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન : ૯. નિરવની બગાવત

પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન : . નિરવની બગાવત
મિત્રો મારી નવલકથા ને ભવ્ય પ્રતિસાદ આપવા બદલ આપ સૌ નો ખૂબ ખૂબ આભાર. 
વહી ગયેલી વાર્તા આપ મારી આગળની પોસ્ટ માં જોઈ શકો છો.
હવે આગળ..... 

            આરામભવનમા પગ મુક્તા નીરવને જાણવા મળ્યુ કે તેની માં રૂપાદેવી ને પીળીકોઠીમા લઈ ગયેલા છે. પીળીકોઠી સાંભળતા જ નીરવ આંધીની જેમ પીળીકોઠીમા પહોંચ્યો. પીળીકોઠીમા પગ મૂકતા જ નિરવે જોયુ કે તેની માતા પર કોરડા વરસી રહયા છે અને દરેક કોરડે તેની માતાના મુખમાથી ચીસ નીકળતી હતી. ભૈરવસિંહનો માનીતો પઠાણ કોરડા વરસાવતો હતો અને આ તમાસો જોઈને ભૈરવસિંહ અટ્ટહાસ્ય કરી રહયા હતા.

          વધુ જોરથી વિંઝવા માટે પઠાણે પાછળ કરેલ કોરડો અચાનક અટકી ગયો. પઠાણે જોર કર્યું પરંતુ કોરડો ન હલ્યો. તેણે પાછળ ફરીને જોયુ તો નીરવ કોરડો પકડીને ઉભો હતો. આજ પઠાણ નિરવને ઘણી વખત કોરડો મારી ચૂક્યો હતો અને તે વખતે પણ નીરવની ચીસો સાંભળીને ભૈરવસિંહ અટ્ટહાસ્ય કરતા હતા. આજે એજ પઠાણના હાથમાનો કોરડો પકડીને નીરવ ઉભો હતો.

          રૂપાદેવી ની ચીસો અટકતા ભૈરવસિંહનું અટ્ટહાસ્ય બંધ થયું. ચીસો કેમ અટકી તે જોવા ભૈરવસિંહે નજર ફેરવી તો નીરવને કોરડો પકડીને ઉભેલો જોયો. તેમણે ત્રાડ નાખી, “નીરવ, છોડી દે કોરડો.” નિરવે કોરડો ન છોડ્યો.

          પઠાણ,” ભૈરવસિંહ ફરીથી ત્રાડ નાખી, “મા સાથે દીકરાને પણ કોરડો મારો.” તે ગુસ્સાથી લાલ પીળા  થઈ ગયા પરંતુ તેમને ખબર નહોતી કે શહેરથી આવેલ આ નીરવ હવે માર ખાય તેમ નથી.

          “નહીં, મારા પુત્રને ન મારશો” કહેતા રૂપાદેવી પઠાણ સમક્ષ હાથ જોડી રહયા. તે નીરવ તરફ ફર્યા. “બેટા તુ અહીં કેમ આવ્યો? આ નર્કમાથી મે તને બહાર મોકલ્યો હતો, તુ પાછો કેમ આવ્યો? બેટા તુ પરત ચાલ્યો જા બેટા.” કહેતા રૂપાદેવી નીરવ તરફ ધસ્યા.

          એક આશ્ચર્ય સર્જાયું, નીરવે માને હાથ લંબાવી હાથના ઇશારે થોભી જવા કહ્યુ, તેની નજર તો પઠાણના ચહેરા પર જ નોધયેલી હતી, પઠાણે ફરીથી કોરડો છોડાવવા માટે જોર કર્યુ પરંતુ નીરવના હાથમાથી કોરડો છૂટ્યો નહી.

          નીરવ પઠાણની થોડો નજીક ગયો. પઠાણ કઈ સમજે તે પહેલા તો ધડાક કરતો અવાજ આવ્યો, પઠાણ બેવડ વળી ગયો, તેના હાથમાથી કોરડો છૂટી ગયો. નીરવે તેના પેટમા એક જોરદાર લાત મારી હતી. કોરડો નીરવે રૂપાદેવીના હાથમા થમાવ્યો અને ધીમા પગલે બેવડ પડેલા પઠાણ તરફ ગયો. પઠાણનો હાથ પકડી ઊભો કર્યો. આખા હોલમા સ્તબ્ધતા પથરાયેલી હતી. ભૈરવસિંહના જી હજૂરિયા કાઇ સમજી શકતા નહોતા. ત્યાં તો નીરવનો  મર્દાનાં અવાજ ગુંજ્યો, “ પઠાણ આ હાથે જ તે મારી મા પર કોરડા વરસાવ્યા છે ને,” ખટાક્ કરતો બીજો અવાજ સંભળાયો અને તે સાથે પઠાણ ની મરણતોલ ચીસ ગુંજી ઉઠી. નીરવે પઠાણના ઉંચા કરેલા હાથની કોણી પર પોતાના બીજા હાથથી જોરદાર પંચ માર્યો હતો અને ખટાક્ ના અવાજથી પઠાણનો હાથ ભાંગી ગયો હતો.

          રૂપાદેવી આશ્ચર્યથી આ ચમત્કાર જોઈ રહયા. હજુ ગઈકાલે તો તેમણે નીરવને જોયો હતો, આજ પઠાણના મારથી ધ્રૂજતો હતો અને આજે તેણે પઠાણનો હાથ તોડી નાખ્યો! તેમનુ ર્હદય ખુશીથી ભરાઈ ગયુ. નીરવે રૂપાદેવીના હાથમાથી કોરડો લીધો.

          નીરવ,” ની ત્રાડ સાથે ભૈરવસિંહ નીરવ તરફ ધસી ગયા પરંતુ એક સટાક્ ના અવાજ સાથે પાછા ખસ્યા અને ત્યાંજ બીજો સટાક્ અવાજ થયો.

          નિરવે પોતાની તરફ ધસતા ભૈરવસિંહ પર પોતાના હાથમાં રહેલો કોરડો વીંઝયો હતો. કોરડો જયા વાગ્યે તે જગ્યા પર ભૈરવસિંહને લોહી ઘસી આવ્યું હતું અને ભૈરવસિંહ કાંઈ સમજે તે પહેલાં તો નિરવે બીજી વારનો વીંઝેલો કોરડો ભૈરવસિંહના ગળામાં ભરાઈ ચૂક્યો હતો. ભૈરવસિંહનો શ્વાસ ગુંગળાવા લાગ્યો. તેમને શબ્દો સંભળાયા,

          હું તમારા જેટલો નીચે નથી કે મારા પિતાની હત્યા કરુ, પરંતુ મારી મા તરફ હવે જે કોઈ પણ આંગળી ચીંધશે કે હાથ ઉઠાવશે તો તે હાથ હું તોડી નાખીશ અને જો તે તમે પોતે હશો તો હું ભૂલી જઈશ કે તમે મારા પિતા છોકહીને નીરવે ભૈરવસિંહને એક ધક્કો માર્યો. તેના ધક્કાથી ભૈરવસિંહ જમીન પર ફસડાઈ પડ્યા.

           ચાલ માં, હવે કોઈ તને આંગળી નહીં અડકાડેકહેતા નિરવે રૂપાદેવી નો હાથ પકડ્યો અને પીળીકોઠીની બહાર નીકળી ગયો. તેણે નક્કી કર્યું હતું કે તે હવે આરામભુવનમાં જ રહેશે અને પોતાના પિતા પર નજર રાખી તેમના ત્રાસમાંથી આખા નૈનપુર ને છોડાવશે.

           પિતા સૂબેદારસિંહના મૃત્યુ પછી પ્રથમવાર પીળીકોઠીમાં ભૈરવસિંહનું અપમાન થયું હતું, તેમના પર કોરડો વીંઝાયો હતો. આજે તેમના ક્રોધની કોઈ સીમા નહોતી. તેમના આટલા માણસો વચ્ચે આ કાલનો છોકરો તેમના પર હાથ ઉઠાવી ગયો હતો, તેમને ધમકી આપી ગયો હતો. એક પળમાં મસળી નખાય એવો મગતરો તેમની ઇજ્જતના ધજાગરા ઉડાડી ગયો હતો. પોતાનુ આટલુ અપમાન કરી જનારને એમ તો કંઈ માફ ન કરી દેવાય. તેમણે નિરવને ભયંકર પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેમણે પોતાના બધા જ માણસોને સૂચના આપી દીધી કે નીરવ પર નજર રાખો અને દરેકે દરેક વાતની મને બાતમી આપો.

નાની અમથી ભૂલનુ પણ માનવે તેની જીંદગીમા ઘણુ મોટુ મૂલ્ય ચૂકવવુ પડે છે. ભૈરવસિંહને નિરવને પોતાનાથી દૂર શહેરમાં મોકલવાની ભૂલ ભારે પડી હતી. શહેરથી આવેલ નીરવ અલગ હતો. તે તેમના સામે થતો હતો તેને કોઈ જાતનો ડર ન હતો, તેણે ભૈરવસિંહને માનસિક રીતે પરેસાન કરી દીધા અને તેથી તેમની સાધનામા અવરોધ ઊભો થયો હતો. અને તે પોતે હવે તેનુ કાઇં જ બગાડી શકે તેમ નહોતા.

ઠાકુર નીરવસિંહ પોતાની દુનિયામા મસ્ત હતા, જુવાની તેમના શરીરને આંટી ચૂકી હતી. તેઓ પોતાને આ નવા જમાના પ્રમાણે ઠાકુર નહિ પણ ફક્ત નીરવ માનતા હતા. પોતાના પિતાના કરતૂતો તેમને ગમતા નહોતા, તે હંમેશા પિતાના કાર્યો પર નજર રાખતા, પિતા સાથેના મતભેદો અને લગભગ રોજની થતી મારામારીથી નીરવ એકદમ ધીર ગંભીર બની ગયો હતો. તેણે પણ લોકોને મદદ કરવા માટે ગામના લોકોમાથી જ એક નાની ફોજ બનાવી દીધી અને આ ફોજ લગભગ રોજ ગુમાનસિંહ અને વશરામના માણસોની ધોલાઈ કરતી હતી. ભૈરવસિંહના માણસો જ્યાં પણ જાય, જે કોઈની પર જુલમ કરે તેની વહારે નીરવ દોડી જતો. બાપ જુલમ કરતો હતો અને દીકરો જુલમથી બચાવતો હતો.

          સંજય પણ ભલે અમનપુરમા રહેતો પરંતુ વારે વારે નૈનપૂરમાં આવીને નિરવની ખબર કાઢી જતો અને નિરવના પરાક્રમોથી તે ખુશ થતો હતો.  તેણે લાગતું હતું કે તેણે માત્ર નિરવની નહીં પણ આખા નૈનપૂરની મદદ કરી છે. સંજયની મુલાકાતનો દિવસ નીરવ માટે મહત્વનો બની જતો, તે દિવસે નીરવ ખૂબ જ આનંદિત રહેતો.

          નીરવ પણ ક્યારેક અમનપુર જતો અને સંજયને, લક્ષ્મીને અને તેમના ગુરુજી પંડિત જગન્નાથને મળતો. પંડિત જગન્નાથના સાનિધ્યમાં તેને અપાર સુખ મળતું. નિરવે તેની માતા રૂપાદેવીને લક્ષ્મી વિશે જાણ કરી હતી અને રૂપાદેવી પણ આ વાતથી ખૂબ જ ખુશ હતા.

          ભૈરવસિંહના માણસો નીરવ થી ખુબ જ ભય પામવા લાગ્યા, તેમને થયુ કે હવે તેમના રાજનો અંત આવી ગયો, તેમણે પણ હવે પ્રજા પર જુલમ કરવા કરતાં નીરવ પર નજર રાખવાનું મુનાસિબ માન્યું. નીરવ પર ભૈરવસિંહનાના માણસોની જાસૂસી લાગી ગઈ.

          એક દિવસ ભૈરવસિંહને તેના માણસોએ બાતમી આપી કે રાતા ડુંગરની પેલી બાજુના ગામ અમનપુરના સેઠ રસિકલાલ શાહનો એકનો એક દીકરો સંજય વારે વારે નીરવ ની મુલાકાત લે છે, આ સંજય જ છે જેણે નિરવને તાલીમ આપીને તમારી સામે બગાવત કરવા ઉશ્કેર્યો છે, અને અમનપુરના જ જાગીરદાર ઠાકોર ત્રિભુવનસિંહની પુત્રી લક્ષ્મી નિરવ ને પસંદ છે.

          ઠાકુર ભૈરવસિંહે એક ભયાનક નિર્ણય લઈ લીધો, નીરવે મારા પર હાથ ઉઠાવ્યો છે, હું તેના હૃદયને કચોટી નાખીશ. તેમણે ત્રાડ પડી, ગુમાનસિંહ જાઓ આ સંજયને રામશરણ પહોચાડો અને લક્ષ્મીને પીળીકોઠીમા હાજર કરો.

          જી હજુર, કહેતા ગુમાનસિંહ ઊભો થયો. તેણે સંજય લક્ષ્મી પર નજર રાખવા માટે પોતાના માણસો મોકલી દીધા. બસ હવે આ બંને અમનપુરની બહાર નીકળે કે  તરત જ ઉઠાવી લેવાય.

          હવે ભૈરવસિંહના મુખ પર કુટિલ મલકાટ પથરાયો. તેમને હવે લક્ષ્મી નામની કળીને કચડવાની અભિલાષા હતી. આનાથી જ નીરવે કરેલા અપમાનનો બદલો લઇ  શકાશે. તેઓ પોતાના દિવાસ્વપ્નો માં ઘણા દિવસો સુધી રાચતાં રહયા પરંતુ ઘણા દિવસો સુધી ગુમાનસિંહે કોઈ સારા સમાચાર ન આપ્યા.

          પૂરા સાત હાથ ઊચો, મોટી મૂછોવાળો, પડછંદ કાયા ધરાવતો ગુમાનસિંહ માણસ નહિ જલ્લાદ હતો. દસ માણસોને તે એકલો પૂરો પડે તેવો હતો. અત્યાર સુધી તેને જે  પણ કામ સોંપવામાં  આવ્યા  હતા તે બધા જ તે સારી રીતના પૂરા પાડી ચૂકયો હતો. આવા ગુમાનસિંહની તાકાત પર ખુદ ભૈરવસિંહને ગુમાન હતુ.

ઘણા દિવસ વીતી જવા છતાં ગુમાનસિહે કોઈ સારા સમાચાર ન આપ્યા તેથી ભૈરવસિંહ અંદર ને અંદર ધૂંધવાતા હતા ત્યાં તેમને ખબર મળ્યા કે  ગુમાનસિહ પથારીવશ છે. તે ગુમાનસિહની ખબર કાઢવા અને પોતે સોપેલા કામની વિગત જાણવા ગુમાનસિહના ઘરે પહોચી ગયા.

          “હજુર, એ બાળક, બાળક નથી, મોત છે મોત.” ગુમાનસિહે કહી રહ્યો હતો. “અમે લક્ષ્મીને ઉઠાવવાની કોશિષ કરી હતી અને સફળ પણ થયા હતા પણ  સંજય આવી ગયો. તેણે કહ્યું કે લક્ષ્મીની બધી જ આફતોનો સામનો કરવા તે બંધાયેલો છે અને બસ એ એકલાએ જ અમારા બધાના આ હાલ કરી દીધા છે. એટલા માર્યા છે બધાને કે  કોઈનો હાથ તૂટ્યો છે તો કોઈનું માથું તો કોઈના પગ.         

          હજુર એ નાનો દેખાતો બાળક એક નીવડેલો લડવૈયો છે. તેની સમક્ષ ઊભા રહેવું તે પણ અમારા કોઈના હાથની વાત નથી. આખું અમનપૂર તેની કુસ્તીને વખાણે છે. આખા  પરગણામાં કુસ્તીમાં તેને કોઈ જીતી શક્યું નથી.        

          પોતાના વફાદાર માણસોની આ હાલત જોતાં ભૈરવસિંહે નક્કી કરી લીધું કે તે હવે ગમે તે ભોગે લક્ષ્મીને હાંસલ કરીને જ જંપશે અને સૌ પ્રથમ તો તે પેલા છોકરા સંજયને ખતમ કરશે. બસ, કોઈ પણ હિસાબે હવે આમ થવું જ જોઇએ.
         
ભૈરવસિંહ મજબુર હતા. નીરવ તેમનો એકનો એક પુત્ર હતો. તેના થકી જ તો તેમનો વંશ આગળ ચાલવાનો હતો. ઠાકુર નીરવસિંહના પુત્રના શરીરમા પ્રવેશ કરીને તાંત્રિક પોતાની જીવાદોરી આગળ વધારી શકે તેમ હતો પરંતુ  તેણે દરેક પેઢીની વચમા જે રાહ જોવી પડે છે તેનાથી તે કંટાળ્યો હતો આથી  ભૈરવસિંહે વશરામને તેમનો ખાસ શિષ્ય બનાવીને તેને પોતાની ઘણી વિદ્યા આપી હતી.  તે ઇચ્છતો હતો કે ભૈરવસિંહના મૃત્યુ બાદ તે પોતાના શિષ્ય વશરામની મદદથી નીરવસિંહના શરીરમા પ્રવેશ કરે અને જો તે સફળ થાય તો તો તેના નસીબ જ ખૂલી જાય. આ રાજવી કુટુંબ હંમેશાને માટે તેનુ થઇ જાય અને આ રીતના તેનુ અમરત્વ સાર્થક થઇ જાય

આ બંને શરતો માં તેને ઠાકુર નીરવસિંહની જરૂર હતી અને તેથી જ તે પોતાની સામે થનારા આ નીરવ નામના મગતરાને ભારોભાર નફરત કરતાં હોવા છતાં મસળી શકતા નહોતા.
         
          “મહારાજ આપ ઘણા દિવસથી સાધનામાં ધ્યાન નથી આપતા, વશરામ કહી રહ્યો હતો. કાળ ભૈરવસિંહેના માથે ભમતો હતો. તે વશરામ તરફ જોઈને મલકયા, તેમણે કહ્યું, “વશરામ સાધના કરવા માટે મન એકાગ્ર હોવું જોઈએ અને અત્યારે મારૂ મન નીરવ, સંજય અને  ખાસ કરીને લક્ષ્મીમાં લાગેલું છે એટલે હું અત્યારે સાધના નહીં કરી શકું. તું જા, મારૂ આ કામ થયે હું જાતે સાધના કરવા લાગી જઈશ.”


---------0000000000000-------

હવેવધુ આવતા સોમવારે...... 
મિત્રો આપ સૌનો પ્રેમ જ મને વધુ ને વધુ લખવા માટે પ્રોત્સાહિત કરતો રહેશે. આ નવલકથા પૂરી થયે બૃહન્નલા -1 ની સવારી આવશે. અને બીજી ઘણી બધી અર્ધ લખાયેલી છે. એ બધી જ હું આપ સમક્ષ જરૂરથી લઈ આવીશ, બસ તમે વધુ ને વધુ શેર, ફોલો અને ટિપ્પણી કરો. જે કોઈ પણ આ નવલકથાને છાપવામાં / છપાવવામાં રસ ધરાવતા હોય તે મારો સંપર્ક કરી શકે છે.
આભાર 
આપનો 
જાંબુ” (શૈલેષકુમાર મોતીલાલ પરમાર),
મો. 09898104295 / 09428409469
E-mail – shailstn@gmail.com
ISBN 9780463875544.

મારી નવલકથા પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન માતૃભારતી પર વાંચી શકો છો. 

રવિવાર, 6 જાન્યુઆરી, 2019

પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન : ૮. નિરવની મુલાકાત



પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન :
મિત્રો મારી નવલકથા ને ભવ્ય પ્રતિસાદ આપવા બદલ આપ સૌ નો ખૂબ ખૂબ આભાર. 
વહી ગયેલી વાર્તા આપ મારી આગળની પોસ્ટ માં જોઈ શકો છો.
હવે આગળ..... 

 . નિરવની મુલાકાત



          બીજા દિવસે નીરવ સંજયને મળવા ઘરે આવ્યો. દરવાજે આવીને તેણે ડોરબેલ વગાડી. લક્ષ્મી હમણાં જ સ્નાન કરીને આવી હતી અને સંજય સ્નાન કરવા ગયો હતો તેથી લક્ષ્મીએ દરવાજો ખોલ્યો. એક ક્ષણ નીરવ મંત્રમુગ્ધ થઈ ગયો હોય એવી રીતે લક્ષ્મીના ભીના સૌંદર્યને જોઇ રહ્યો, તેની ત્વચાનો નિખાર ઉડીને આંખે વળગતો હતો. વાળમાથી ટપકતું પાણી આ મૂર્તિમંત સૌંદર્ય પર અભિષેક કરતું હોય એવું લાગતું હતું. બિલકુલ મેકઅપ રહિત, ટાપટીપ વિનાનું સાદગીભર્યું સૌદર્ય , નારીનો દેહ ધરીને ઉભેલો રૂપનો દરિયો, ફૂલ પર હમણાં જ બાઝેલા ઝાકળ જેવી આ પારદર્શક સુંદરતાને નીરવ અપલક જોઈ રહ્યો. ક્યાંય કોઈ ખામી નથી, બધી ખૂબી જ ખૂબી. એને લાગ્યું કે વાળમાથી ખભા પર ટપકીને, શરીર ઉપર સરકીને નીચે  ટપકતું પાણી એટલી જગ્યાને પણ શોભાવી દેતું હતું. તેને થયુ કે તે આ રૂપયૌવનાને જોતો જ રહે.



          બીજી તરફ દરવાજે નીરવને જોતા લક્ષ્મી ત્યાજ અટકી ગઇ. નીરવની સામે દ્રષ્ટિ કરતા તેને અનુભવ થયો કે તેના હ્રદયમા ઉંડે ઊંડે કઇંક થઇ રહ્યુ છે તેની હાલત પણ નીરવ કરતાં વધુ સારી ન હતી. તે પણ અપલક નયને નિરવને નિહાળી રહી. એમ પણ તે ગઇકાલનો આખો દિવસ પરેસાન રહી હતી. જ્યારથી સંજયે તેને કહ્યું કે તે ઊંઘમાં મારો નીરવ એમ બોલતી હતી ત્યારથી તે પણ નિરવને જોવા તેને મળવા માંગતી હતી. તેને સમજાતું ન હતું કે નીરવે તેને અંતરમન પર કેવી રીતના કબ્જો જમાવ્યો કે પછી આ વિધિની કોઈ કરામત હશે? અત્યારસુધી ઘણા બધા છોકરાઓને મળવા છતાં પણ લક્ષ્મીએ આવી લાગણી કદી અનુભવી ન હતી. તેમાં નીરવ તેના ઘરના દરવાજા પર ઊભો હતો, બસ, તે તો નિરવની આંખોમાં ખોવાઈ ગઈ હતી.



          લક્ષ્મી, કોણ છે દરવાજા પર?” સંજયના અવાજે લક્ષ્મી – નીરવની તંદ્રા તોડી. લક્ષ્મી નીરવને સંજય પાસે લઇ ગઇ. સંજયે નીરવને બેસવા કહ્યુ અને તેના વિશે જાણવાની જિજ્ઞાશા બતાવી.



          નીરવે કહ્યુ, “મારુ નામ નીરવ છે. ઠાકુર નીરવસિંહ.” સંજય મશ્કરીના હાવભાવ સાથે લક્ષ્મીને જોઇ રહ્યો, જાણે કહેતો હોય જોયો હવે બહુ મોટો ઠાકુર. “નૈનપુરના ઠાકુર ભૈરવસિંહ મારા પિતા છે.” નીરવે ઉમેર્યુ.



          જાણે વિજળી પડી સંજય પર. ઠાકુર ભૈરવસિંહનુ નામ તેણે સાંભળેલુ હતુ. એક રાક્ષસ હતો તે. માત્ર નૈનપુર પર જ નહિ પરંતુ આજુબાજુના ઘણા ગામોમા પણ તેનો ત્રાસ હતો. કોઇની પણ છોકરી કે વહુ સમય પર ઘરે ન પહોચે તો આંગળી ઠાકુર ભૈરવસિંહ પર ચિંધાતી. કોઇ પણ જગ્યાએ કોઇનુ મૃત શરીર મળે તો નામ ઠાકુર ભૈરવસિંહનુ લેવાતુ.



          ભૈરવસિંહ હતો પણ એટલો આકરો કે આખા પરગણામા કોઇની હિમ્મત નહોતી થતી કે ભૈરવસિંહને દાબે. ભૈરવ જાણે કે સાક્ષાત શયતાન, તેની સમક્ષ બાથ ભીડવાની હિમ્મત કોઇ ન કરે. જીવતા માણસનુ રક્ત પીનારા રાક્ષસનો પુત્ર આટલો કાયર? સંજયને નીરવ વિશે વધુ જાણવાની તાલાવેલી લાગી.



          ઠાકુર ભૈરવસિંહના પિતા ઠાકુર સૂબેદારસિંહનુ નામ ઘણુ મોટુ હતુ. લોકો તેમનો આદર કરતા હતા અને તેઓ પોતે પણ એક નેકદિલ ઇન્સાન હતા. તેમણે કદી કોઇનુ ખરાબ ઇચ્છયુ નહોતુ. પોતાના એકમાત્ર પુત્ર ભૈરવસિંહના લગ્ન પણ તેમણે એક સુશીલ કન્યા રૂપાદેવી સાથે કરાવ્યા હતા.



          રૂપાદેવી ખરેખર રૂપનો ભંડાર હતા. એક તરફ સૂબેદારસિંહનો દાબ અને બીજી તરફ રૂપાદેવીનુ રૂપ, ભૈરવસિંહ દબાયેલો રહેતો. ઠાકુર સૂબેદારસિંહની પોતાની પણ આ જ મરજી હતી કે ઠાકુર ભૈરવસિંહ દબાયેલા રહે, કેમ કે તે જાણતા હતા કે ઠાકુર ભૈરવસિંહમા શયતાની ગુણ છે અને આ શયતાન ઉછાળા મારે છે.



          આ જ પરિસ્થિતીમા નીરવનો જન્મ થયો. નીરવના જન્મ બાદ રૂપાદેવી નીરવનુ વધુ ધ્યાન રાખતા તે ઠાકુર ભૈરવસિંહથી સહન થતુ નહોતુ. એમ પણ નીરવ તેમને ગમતો નહોતો. ઠાકુર ભૈરવસિંહે બહાર રહેવાનુ શરૂ કરી દીધુ. પીળી કોઠીમાથી શાંતિ જતી રહી. રોજ ઝઘડા થવા માંડ્યા. ક્યારેક સૂબેદારસિંહ ભૈરવસિંહને દબડાવતા હોય તો ક્યારેક ભૈરવસિંહ રૂપાદેવી પર પોતાનો ગુસ્સો ઉતારતા હોય.  



          સૂબેદારસિંહ હંમેશા રૂપાદેવીનો જ પક્ષ લેતા. તેઓ મનમા ને મનમા પોતાને કોસતા રહેતા કે પોતે એક સારી કન્યા ની જીંદગી ખરાબ કરી નાખી. પોતાના કપૂતના કરતૂતોથી તે હંમેશા દુ:ખી રહેતા હતા. ભૈરવસિંહ રૂપાદેવી સાથે મારઝૂડ કરતો, નીરવને પણ મારતો. આ બધામા સૂબેદારસિંહ ભૈરવસિંહને ડારતા અને એટલે જ નાનકડા નીરવને દાદાજી ખુબ જ વહાલા હતા.



          ભૈરવસિંહ રાજ કરવા ઇચ્છતો હતો. આટલી મોટી જાગીરદારીનો તે માલિક હતો પરંતુ સૂબેદારસિંહ તેના રસ્તામા કાંટા સમાન હતા. તેને તેમની દેખરેખમા રહેવુ ગમતુ નહોતુ. જો સૂબેદારસિંહ હયાત ન હોય તો તે એકલો માલિક થઇ જાય. છૂટો થઇ જાય તે પોતાના ઉપર લાગેલી બધી રોકટોકમાથી. ઠાકુર ભૈરવસિંહે ઘણુ ચાહયુ કે સૂબેદારસિંહ વધુ ન જીવે પણ કુદરત ચાહેલુ કશુ આપતી નથી.



          આખરે એક દિવસ ઠાકુર ભૈરવસિંહે સત્તા મેળવવા પોતાના હાથ પોતાના જ લોહીથી રંગી નાખ્યા. સૂબેદારસિંહ રામશરણ થયા. ભૈરવસિંહના માથે પિતૃહત્યાનુ કલંક લાગ્યુ, પરંતુ આ કલંક કરતા મળેલી આઝાદી ઠાકુર ભૈરવસિંહ માટે ઘણી કિંમતી હતી.



          બસ, એ દિવસથી પીળી કોઠી ભયાવહ બની ગઇ. ત્યા જતા સૌ કોઇ ડરવા લાગ્યા. રૂપાદેવી અને નીરવને ઠાકુર ભૈરવસિંહના ક્રોધથી બચાવનાર કોઇ નહોતુ. રૂપાદેવી અને નીરવનો રોજનો માર ખાવાનો કાર્યક્રમ થઇ ગયો. આ લોકોની દર્દનાક ચીસો સાંભળી ને ઠાકુર ભૈરવસિંહ ખૂબ રાજી થતો.



          આમને આમ નીરવે ગામની શાળાનુ ભણતર પુરુ કરી લીધુ. તે કદી પિતાની સામે ઊભો ન રહેતો. પિતાના નામ માત્રથી તે ધ્રૂજવા માંડતો. એટલી હદે તે ડરપોક બની ગયો તે તેને સૌ કોઇની બીક લાગવા માંડી. અને આ જ તો ઠાકુર ભૈરવસિંહ ચાહતા હતા.



          આ અત્યાચારથી ભૈરવસિંહ ના પત્ની રૂપાદેવી ખૂબ જ વ્યથિત હતા. રૂપાદેવીથી પોતાના પુત્રની આ અવદશા જોવાતી નહોતી. નીરવનુ શાળાનુ ભણતર તો પુરુ થઇ ગયુ હતુ અને તે હવે આખો દિવસ પીળી કોઠીમા રહેતો અને તેથી જ ઠાકુર ભૈરવસિંહ તેના પર વધુ જુલમ કરતા હતા. રૂપાદેવીએ ઠાકુર ભૈરવસિંહને સમજાવી જોયા કે જે પુત્રને તમે નફરત કરો છો તેને તમારાથી દૂર રાખો તો તમને તકલીફ ઓછી થશે એમ પણ ભૈરવસિંહ નીરવ નું મો જોવા માંગતો ન હતો તેમાં રૂપાદેવી ની વિનંતી બસ વિનંતીને માન આપે છે તેમ જતાવીને ઉચ્ચતર અભ્યાસના બહાના હેઠળ નિરવને શહેર માં મોકલી દેવામાં આવ્યો.  ભૈરવસિંહે કદાચ જીન્દગીમા પ્રથમવાર જ તેમના પત્ની રૂપાદેવીની કોઇ વિનંતી માન્ય રાખી હતી. શાળાનુ ભણતર પુરુ કર્યાના ત્રણ વર્ષ બાદ નીરવ વધુ અભ્યાસ માટે શહેરમા આવ્યો.



          નીરવ માટે તો આ સુખના સમાચાર જ હતા કેમકે તેણે હવે તેના પિતા કે પઠાણ ના હાથનો માર ખાવો નહીં પડે આ વિચાર માત્રથી જ તે ખૂબ ખુશ થયો.



          નીરવ શહેરમા હોસ્ટેલમા રહેવા લાગ્યો પરંતુ તેને અંહીયા શાંતિ નહોતી. બધા તેના ડરપોકપણાને જાણી ગયા હતા અને તેને ખુબ જ પરેશાન કરતા હતા. આ બધી પરેશાની તેને સહ્ય હતી પરંતુ પિતા પાસે પરત જવાનુ તેને મંજૂર નહોતુ.

   ---------0000000000000-------



          સંજયે નીરવને સધિયારો આપતા કહ્યુ, “મિત્ર આપણે તો પાડોશી છીએ. તુ નૈનપુરનો છે તો અમે અમનપુરના. પોતાના વિશે બધી માહિતી સંજયે નીરવને આપી.”



          સંજય એક નીવડેલો કુસ્તીબાજ છે જાણીને નીરવ અહોભાવથી સંજય તરફ જોઇ રહ્યો. સંજયને તેણે વિનંતી કરી કે હવે તેઓ હંમેશા તેની સાથે રહે જેથી તેને કોઇ પરેશાન ન કરે.



          સંજય આછુ આછુ મલકી રહ્યો. તેણે કહ્યુ, “નીરવ હંમેશને માટે હુ તારી સાથે રહુ તે શકય નથી. હા, તુ જો ઈચ્છે તો હુ તને મારા જેવો બનાવી શકુ પણ તારી સાથે રહેવુ શકય નથી કેમકે અહીનો અભ્યાસ પૂર્ણ થતા જ અમે અમનપુરમા પાછા ચાલ્યા જઇશુ અને તારે પણ ફરીથી ભૈરવસિંહ જેવા પિતા પાસે પાછુ ફરવુ જ પડશે. ત્યા હુ તારી સાથે નહિ આવી શકુ, એક પિતા અને પુત્રની વાતમા હુ ન પડી શકુ. ત્યાની બધી જ પરિસ્થિતીઓનો તારે એકલાએ જ સામનો કરવો પડશે. તારામા રાજવી કુટુંબનુ લોહી છે. મને ખાતરી છે કે તુ તારી દરેક યાત્રામા સફળ થઇશ. તારે ફકત હિંમત દાખવવાની જરૂર છે. હુ તને દરેક જગ્યાએ મદદ કરીશ પણ પ્રથમ પગલુ તો તારે જ ભરવુ પડશે.”



          નીરવના ચહેરા પર આછી ખુશી આવી. તેણે આશંકાથી પૂછ્યુ, “શુ હુ તારા જેવો મજબૂત બની શકુ છુ? શુ હુ મારા પિતાનો સામનો કરી શકીશ?”



          “હા, નીરવ,” સંજય ધરપત આપતા બોલ્યો, “બસ તુ માનસિક રીતે તૈયાર થઇ જા.”



          નીરવે હા પાડી, કદાચ નીરવની આખી જીન્દગીમા આ એક અતિ-મહત્વનો નિર્ણય બની જવાનો હતો.



          નીરવની તાલીમ શરૂ થઇ ગઇ. રોજ લક્ષ્મી અને સંજય નીરવની પાછળ ખુબ મહેનત કરતા અને તે મહેનતના પરિણામો પણ દેખાવા માંડયા. એક ડરપોક, ભીરુ યુવાન હવે મર્દ બનવા માંડયો હતો. ભૈરવસિહે ભલે નિરવને કઈ નહોતું આપ્યું પરંતુ અજાણતા એક બહુ મોટી શક્તિ નિરવને વારસામાં આપી ચૂક્યા હતા જેની કોઈને જ ખબર ન હતી. ખુદ નિરવને પણ નહીં. એ શક્તિનું નામ હતું દર્દ સહન કરવાની શક્તિ. સંજય જે કઈ તાલીમ તેને આપતો તેના કરતાં પણ નીરવ વધારે મહેનત કરતો કેમકે દર્દ તો તેણે પીળીકોઠીમાં  અનુભવ્યું હતું. અહિયાં તો તેને મજા આવતી હતી અને આમ જ માત્ર થોડાક જ મહિના માં નીરવ એકદમ શક્તિશાળી બની ગયો. 



          રોજના સાથથી નીરવ લક્ષ્મીને પસંદ કરવા માંડયો અને લક્ષ્મી તો નીરવને શરૂઆતથી જ પસંદ કરતી હતી. બંનેએ સંજય પાસે તેઓના પ્રેમની કબૂલાત કરી. નીરવ હવે લક્ષ્મીને સંપૂર્ણપણે કાબેલ હતો તેથી સંજય પણ આ સબંધથી ખુશ થયો અને લક્ષ્મીને તેણે વચન આપ્યુ કે તે આ લોકોના લગ્નની સંપૂર્ણ જવાબદારી લેશે. ઠાકુર ત્રિભોવનસિંહ અને ઠાકુર ભૈરવસિંહને તે સમજાવશે અને લગ્ન માટે રાજી કરી દેશે.



          આમને આમ હસી ખુસીમા આ લોકોનો અભ્યાસ પૂર્ણ થયો અને ત્રણે જણા શહેર છોડીને ગામ તરફ જવા નીકળી પડયા. અમનપુર, નૈનપુરના ત્રિભેટા પર તેઓ ઉભા રહયા. શહેરથી અહી સુધી નીરવ કાઇ જ બોલ્યો નહોતો. લક્ષ્મીથી નીરવની આ ચુપકીદી સહન ન થઇ, તેણે નીરવને પુછયુ, “નીરવ તુ કેમ કાઇ બોલતો નથી?”



          નીરવે સંજય તરફ જોઇને કહ્યુ, “સંજય હાલ પુરતુ આપણે લગ્નનુ માંડી વાળીએ. હૂઁ લક્ષ્મીને ચાહુ છુ, તેની સાથે લગ્ન કરવા માંગુ છુ, પણ સાથે સાથે તે ખુશ રહે તેમ પણ ચાહુ છુ અને નૈનપુરમા જ્યા સુધી મારા પિતા હયાત છે ત્યા સુધી આ શકય નથી. હુ મારી માઁ સાથે નૈનપુર છોડીને શહેરમા જ રહેવા માંગુ છુ, જેથી મારા પિતાના જુલમથી અમે બંને છૂટી શકીએ. એકવાર શહેરમા ગોઠી જાય પછી હુ લક્ષ્મીને પરણીને લઇ જઇશ પણ ત્યા સુધી હુ લગ્ન નહિ કરી શકુ.”



          સંજય કહ્યુ, “નીરવ આપણે થોડા સમય માટે નહિ પરંતુ કાયમ માટે લગ્ન મુલતવી રાખીએ. તારા કહેવા પ્રમાણે તુ તારા પિતાના ડરથી ગામ છોડીને જતો રહીશ તો એવા કાયરને હુ મારી બહેન નહિ પરણાવુ કે જે પોતાની માઁની સુરક્ષા ન કરી શકે. લક્ષ્મીને ચાહતો હોય તો સામનો કર નહિ તો હુ લક્ષ્મીના લગ્ન બીજે કયાંક કરાવી દઇશ.”



          નીરવ એક ક્ષણ અવાક થઇ ગયો. તેણે નિર્ણય કરીને કહ્યુ, “સંજય મને થોડો સમય આપ. હુ અહિયા જ રહીશ, અને જ્યારે મારા પિતાનો પુરી રીતના સામનો કરી શકીશ ત્યારે જ હુ લક્ષ્મી સાથે લગ્ન કરીશ પણ તુ મને મળવા, હિંમત આપવા મારે ત્યા આવતો રહેજે.”



          નીરવની વાતથી લક્ષ્મીના ચહેરા પર ખુશી છલકી ઉઠી. આ તો ત્રિભેટો હતો. અહીથી હવે આ લોકોના રસ્તા બદલાતા હતા. નીરવ નૈનપુર તરફ ચાલ્યો અને સંજય લક્ષ્મી અમનપુર તરફ ચાલી પડયા.

---------0000000000000-------


હવેવધુ આવતા સોમવારે...... 

મિત્રો આપ સૌનો પ્રેમ જ મને વધુ ને વધુ લખવા માટે પ્રોત્સાહિત કરતો રહેશે. આ નવલકથા પૂરી થયે બૃહન્નલા -1 ની સવારી આવશે. અને બીજી ઘણી બધી અર્ધ લખાયેલી છે. એ બધી જ હું આપ સમક્ષ જરૂરથી લઈ આવીશ, બસ તમે વધુ ને વધુ શેર, ફોલો અને ટિપ્પણી કરો. જે કોઈ પણ આ નવલકથાને છાપવામાં / છપાવવામાં રસ ધરાવતા હોય તે મારો સંપર્ક કરી શકે છે.

આભાર 
આપનો 

જાંબુ” (શૈલેષકુમાર મોતીલાલ પરમાર),
મો. 09898104295 / 09428409469
E-mail – shailstn@gmail.com
ISBN 9780463875544.

મારી નવલકથા પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન માતૃભારતી પર વાંચી શકો છો. 

પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન : ૯. નિરવની બગાવત

પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન : ૯ . નિરવની બગાવત મિત્રો મારી નવલકથા ને ભવ્ય પ્રતિસાદ આપવા બદલ આપ સૌ નો ખૂબ ખૂબ આભાર.   વહી ...